ખેડૂતો આનંદો.. સરકાર હવે દિવસે વિજળી આપવાનું વિચારી રહી છે..


શિયાળાની કડકડતી રાતમાં પિયત માટે જવાથી કંટાળેલ ગુજરાતના ખેડૂતોને હવે રૂપાણી સરકાર રાહત આપવાની યોજના બનાવી રહી છે. ઉર્જામંત્રી સૌરભ પટેલની પત્રકાર પરિષદ કરીને જાહેરાત કરી છે સરકાર ખેડૂતોને દિવસે વિજળી આપવા અંગેની શક્યતાઓ ચકાસી રહી છે. અત્યારે ખેડૂતોને રાતે જ વીજળી મળતી હોવાને કારણે, રાતે જ ખેતરોમાં પિયતની વ્યવસ્થા થઈ શકે છે જેને પરિણામે ખેડૂતોએ રાતના ઉજાગરા કરવા પડે છે આ અંગે ખેડૂતો વારંવાર સરકાર સામે દિવસે પણ વીજળી આપવા બાબતે રજૂઆત કરી ચુક્યા છે ત્યારે સરકારે પણ આ મુદ્દાને ગંભીર રીતે લઈને ખેડૂતોને દિવસે પણ વીજળી આપવાનું વિચારીને એ દિશામાં કદમો ઉઠાવ્યા છે.


રાતના ઘોર અંધકારમાં ખેડૂતોએ પિયત કરવા ખેતરે જવું પડતું હોય છે. વળી કેટલાક ગામોની સીમમાં જંગલી પશુઓનો ડર હોવા છતાં ખેડૂતોએ રાતે ફરજિયાત ખેતરે પિયત કરવા પહોંચવું પડે છે. પણ સરકાર જો દિવસે વીજળી આપશે તો ખેડૂતોને ખુબ રાહત થઈ જશે. આ અંગે ઉર્જામંત્રી સૌરભ પટેલે પત્રકાર પરિષદમાં કહ્યુ હતું કે ખેડૂતોને દિવસે વીજળી આપવા સરકાર વિચારણા કરી રહી છે. અને દિવસે વીજળી આપવી હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરવા પડી શકે છે. તેમજ નવા વીજ સ્ટેશન અને સબ સ્ટેશન ઉભા કરવા પડે. અને નવી વીજલાઈન નાખવી પડી શકે છે.


આ ઉપરાંત ઉર્જામંત્રીએ જાહેરાત કરી હતી કે ખેડૂતો કરારીત વીજભાર કરતા વધારાના વીજભારને નિયમિત કરી શકશે. હોર્સ પાવર આધારિત ખેડૂતોને લાભ થશે. આ પહેલા વીજ લોડની ચકાસણી થતી હતી ત્યારે વીજ લોર્ડ વધારે આવતો હતો. વીજ લોડ વધારે આવતા ખેડૂતોને પેનલ્ટી ભરવી પડતી હતી. ત્યારે હવે ચેકિંગ દરમિયાન તાત્કાલિક પુરવણી બીલ આપવામાં નહી આવે..

Comments